વિવાદીત વિલથી મિલકતો પ્રાપ્ત કરનાર ખુદ પ્રતિવાદીએ જ વસિયતનામાની સત્યતા અને યથાર્થતા અંગે શંકા સેવ્યાનું સોગંદનામાથી કર્યું જાહેરઃ વિલનું પ્રોબેટ મેળવવું જરૂરી: પ્રતિવાદીની લેખિત કબુલાત અદાલતના રેકર્ડમાં રજુ થઈ
જામનગર મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક તથા શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિના પ્રમુખપદે રહી ચુકેલ સ્વર્ગસ્થ રતિલાલ મુળુભાઈ બારડના જયેષ્ઠ પુત્ર કમલ બારડ દ્વારા તેઓના નાના ભાઈ મયુર બારડએ સ્વર્ગસ્થ પિતાની તમામ સ્થાવર-જંગમ મિલકતો અન્વયે ઊભું કરેલ બનાવટી અને બોગસ વીલ હોવાના કથનો સાથેના વિવાદ સમર વેકેશનમાં અદાલતના આંગણે રજીસ્ટર થયાનો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ બનવા પામ્યા બાદ વાદી કમલ બારડ દ્વારા હાજર રહેલ નગરના વકીલએ કેસની ગંભીરતા અદાલતના ધ્યાને મુકતા કોર્ટ દ્વારા કોર્ટ ઓવર ટાઈમ સુધી સુનાવણી થતાંની સાથે જ દિવસ-૦૧ માં પ્રતિવાદી મયુર બારડને અદાલત સમક્ષ હાજર રહેવા તાકીદનો સમન્સ તથા શો-કૉઝ નોટીસ જારી થયા બાદ, દાવા તથા મનાઈહુકમની અરજી અન્વયે પ્રતિવાદીએ રજુ કરેલ લેખિત-જવાબ તથા સોગંદનામાથી સમગ્ર વિવાદીત વીલ શંકાસ્પદ હોવાની પ્રતિવાદીની પોતાની જ કબુલાતથી ઊલ્ટી ગંગા જેવો ઘાટ ઘડાવવા પામ્યો છે.
અગાઉ અદાલતે નિયત કરેલ મુદ્દત દિવસ-૦૧ માં જ પ્રતિવાદી મયુર બારડએ પોતાને જે વકીલ રોકવાના છે તે બહારગામ હોવાથી કેસની સુનાવણી દિવસ-૧૦-૧૫ સુધી મુલત્વી રાખવા કરેલ અરજી સામે વાદી પક્ષે હાજર રહેલ ધારાશાસ્ત્રીએ સખત વાંધો ઉઠાવી,મેગ્નેટીક દલીલો આગળ ધર્યા બાદ, અદાલતે પ્રતિવાદી મયુર બારડને તૂર્ત જ વકીલ રોકવા અંગે સખત શબ્દોથી ટકોર કરી હતી. પરિણામે, માત્ર ૩૦ થી ૩૫ મિનીટના ગાળામાં મયુર બારડ દ્વારા વકીલ રોકવાની ફરજ પડતા – સમય વ્યતિત કરવાનો તેનો મનસુબો પાર પડયો નહોતો. એટલું જ નહિં, પોતાના વકીલ મારફત પ્રતિવાદીએ દાવા તથા મનાઈહુકમનો જવાબ રજુ નહીં થતાં સુધી વિવાદીત રજીસ્ટર્ડ વીલની અમલવારી નહીં કરવા લેખિત બાંહેધરી રજુ કરી ભરી અદાલતમાં શરણાગતિ સ્વીકારી લીધા બાદ વીલની સત્યતા અને યથાર્થતા અંગે પ્રતિવાદીએ પોતે જ શંકા સેવ્યાની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આમ, ટોક ઓફ ધ ટાઉન એવા આ સમગ્ર કેસમાં ફરી એક વખત નાટયાત્મક વણાંક આવેલ હોય અને અદાલતી કાર્યવાહીમાં નિર્ણાયાત્મક તબક્કે આવી પહોંચ્યો છે.
આ કેસમાં જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, જીતેશ મહેતા, સંજના એમ. તખ્તાણી, મનિસા ભાગવત, મુર્તઝા મોદી તથા આસિસ્ટન્ટ્સ રીના રાઠોડ, પુજા રાઠોડ તથા કિંજલ સોજીત્રા રોકાયેલ છે.